અમદાવાદઃ વર્લ્ડકપ 2023ની શરુઆત થઈ રહી છે, વર્લ્ડકપની શરુઆત થાય તે પહેલા વોર્મઅપ મેચો પણ રમાવાની છે જેની આ મહિનાના અંતથી શરુઆત થઈ રહી છે. જે બાદ 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ ટુર્નામેન્ટની શરુઆત થવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા ICCએ પિચ ક્યુરેટર્સને મેદાનને લઈને અનેક સૂચનાઓ આપી છે. ICCના એક સૂત્રએ ICC દ્વારા લાવવામાં આવેલા નવા નિયમ વિશે માહિતી આપી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આઈસીસીએ પિચ ક્યુરેટર્સને નિર્દેશ આપ્યા છે કે વર્લ્ડ કપમાં બાઉન્ડ્રીની લંબાઈ હવે 70 મીટરથી વધુ હોવી જોઈએ. આ બેટ અને બોલ વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. ભારતીય પિચ પર સ્પિનર્સને થોડી વધુ મદદ મળે છે. જેને ધ્યાનમાં રાખીને ICCએ પણ પિચ પર વધુ ઘાસ રાખવાનો આદેશ આપ્યો છે. જેથી ઝડપી બોલરોને પણ થોડી મદદ મળે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોટાભાગની ટીમો તેમના પ્લેઈંગ ઈલેવનમાં વધુ પેસર્સને રાખવા ઈચ્છશે.
આઈસીસીના એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે કે આ સમયે ભારતમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોનના સ્થળોએ ડ્યુ ફેક્ટર ઘણું વધારે હશે. ચેન્નાઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં વરસાદની પણ સંભાવના છે. ઝાકળ સ્પિનરો માટે ઘણી મદદ કરે છે પરંતુ વધુ ઘાસ સાથે તમે સ્પિનરો પર વિશ્વાસ કરી શકતા નથી. ODI મેચને રસપ્રદ બનાવવા માટે મોટા સ્કોર ની જરૂર નથી.
ICCના આ નિર્ણય બાદ આ વર્ષે વર્લ્ડ કપમાં મોટો સ્કોર જોવા ન મળે તેવું પણ બની શકે છે. વર્લ્ડ કપમાં બાઉન્ડ્રીની લંબાઈ પણ વધારવામાં આવી છે. જેના કારણે બેટ્સમેન માટે ચોગ્ગા અને છગ્ગા મારવા આસાન નહીં હોય. અગાઉ વર્લ્ડ કપ મેચોમાં 65 મીટર સુધીની બાઉન્ડ્રી જોવા મળતી હતી, પરંતુ હવે આવું જોવા મળશે નહીં. જોકે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો સામે સ્પિનરો સાથે રમવા માંગશે.